Sunday, February 10, 2019

મહાભારત પાત્ર પરિચય - બુધ પુત્ર પુરુરવા

           નમસ્કાર મિત્રો મહાભારત પાત્ર પરિચય ની શ્રેણીમાં આજનું પાત્ર છે બુધ પુત્ર પુરુરવા. પુરુરવા પ્રાચીન સમયના પ્રસિદ્ધ રાજા હતા જે બુધ અને ઈલા ના સંયોગથી પેદા થયેલા હતા એમની રાજધાની પ્રતિષ્ઠાનપુર માં ગંગા નદીના કિનારા પર પ્રયાગરાજમાં હતી. હરવંશ અને અન્ય પુરાણો અનુસાર દેવગુરુ બૃહસ્પતિ પત્ની તારા અને ચંદ્ર ના સંયોગથી બુધ ઉત્પન્ન થયો જે ચંદ્ર વંશ નો મૂળ પુરુષ હતો. બુધનો ઇલાની સાથે વિવાહ થયો જેના ગર્ભ થી પુરુંરવા પેદા થયા જે ખૂબ જ બુદ્ધિવાળા અને રૂપવાન હતા. નારદ ઋષિ ના મોઢે થી દેવ સભામાં તેમના વખાણ સાંભળીને અપ્સરા ઉર્વશી તેમના પર મોહિત થઇ ગઈ, અને તે પૃથ્વીલોક ઉપર આવવા માટે આતુર થઈ ગઈ.
          ઋગ્વેદ અનુસાર સ્વર્ગની અપ્સરા ઉર્વશી અને મૃત્યુલોકના પુરુષ પુરુરવા ના પ્રેમ પ્રસંગની અજર અમર કથા ઇન્દ્રલોક અને પૃથ્વીલોકની અંતર સંબંધોની સ્પષ્ટ ઝલક પ્રસ્તુત કરે છે.જ્યારે ઇન્દ્રની સભામાં પુરુરવા ની ચર્ચા અપ્સરા ઉર્વશી એ સાંભળી ત્યારે તે મનમાં ને મનમાં તેમના ઉપર આસક્ત થઈ ગઈ. પૃથ્વીલોકના માણસ પર આસક્ત થવાને કારણે તેમના મિત્ર વરુણ અને અન્ય દેવતાઓ તેમના પર ક્રોધિત થઈ ગયા. અને તેમને પૃથ્વી પર પતિત થવાનો શ્રાપ આપ્યો. પૃથ્વીલોક પર પરમ દેવ સ્વરૂપ અને ક્રાંતિમય ઈલા ના પુત્ર પુરુરવા ઉર્વશી પર આસક્ત થઈ ગયા. તેમણે એ સુંદરીને પોતાની જીવનસંગિની બનાવી લીધી. પરંતુ સ્વર્ગ લોક થી ભ્રષ્ટ થયેલી ઉર્વશીએ તેના માટે ત્રણ શરતો રાખી.

1. પુરુરવા તેની સહમતિથી જ તેની સાથે સમાગમ કરી શકશે

2. તે કોઈ દિવસ તેને નગ્ન સ્વરૂપમાં દેખાશે નહીં

3. એક દિવસમાં ત્રણ વખત થી વધારે તે સમાગમ માણી શકશે નહીં.
         ઋષિ પુરુષ પુરુરવા માટે આ ત્રણ શરતો સામાન્ય હતી અને તેનો સંયમ પાડવો તેમના માટે કઠિન ન હતો એટલા માટે તેમને હા પાડી દીધી અને બંને સુખપૂર્વક રહેવા લાગ્યા. ઉર્વશી ના શયન કક્ષમાં બે ધેટાઓ રાખવામાં આવેલા હતા ,જેને તે પુત્રવત માનતી હતી. દેવતા ગણ અને ઇન્દ્ર સ્વર્ગમાં ખૂબ જ સૌંદર્યવાન ઉર્વશી ની અનુપસ્થિતિમાં દુઃખી રહેવા લાગ્યા,અને  તેઓ ઉર્વશી ને પાછી લાવવાના ઉપાયો વિચારવા લાગ્યા. એક દિવસ વિશ્વા વસુ અને અન્ય ગંધર્વો ચોરીછૂપીથી ઉર્વશી ના ઘેટા ઓ નુ અપહરણ કરવા આવી ગયા.અહી શયન કક્ષ મા ઉર્વશીએ બુમરાણ મચાવી દીધી આ શોર બકોર સાંભળીને પુરુરવા ઉઠી ગયા અને ઘેટા ઓને ગાંધર્વો થી છોડાવી લીધા ત્યારે જ નક્કી કરેલા ષડયંત્ર મુજબ ગંધર્વો એ માયાથી પ્રકાશ ફેલાવી દીધો અને ઉર્વશીએ પુરુરવા ને નગ્ન અવસ્થામાં દેખી લીધા. ક્રોધ ની મારી ઉર્વશી શર્ત મુજબ સ્વર્ગ ચાલી ગઈ અને પુરુરવા તેને શોધતા રહી ગયા
           એક દિવસ વિરહ વ્યાકુળ અને પ્રેમ મુગ્ધ પુરુરવા કુરુક્ષેત્રમાં વિશ્વ યોજન નામના રમણીક સરોવર પહોચ્યા તેમણે સરોવરમાં પૂર્વે ક્યાંય ના દેખી હોય તેવી હંસલિયો ને જળક્રીડા કરતા અને તેમાં મગ્ન થઈ જતા દેખી વાસ્તવમાં તે બધી સ્વર્ગની અપ્સરાઓ હતી જે બધી જલવિહાર કરવા પૃથ્વી પર ઉતરી આવી હતી.
            પુરુરવા તેમની જળક્રીડા દેખીને ભાવવિભોર થતા રહ્યા અને થોડા સમય પછી તે હંસલી ઓ પૂર્વવત્ તેમના અપ્સરાઓના મૂળ સ્વરૂપ માં આવી ગઈ. પરંતુ હજી પણ એક હંસલી જળ માં જ વિહાર કરી રહી હતી, અને પુરુરવા ને દેખી રહી હતી તે ઉર્વશી અપ્સરા હતી. તેણે વિરહ વ્યાકુળ પુરુરવા ને પોતાની વિવશતા દર્શાવી, અને કહ્યું કે પૃથ્વી પર રહેવું તેના માટે સંભવ નથી એટલા માટે તે પોતાનો રાજકાજ સંભાળે અને તેને ભૂલી જાય ઉર્વશીએ તેને જીવિત રહેવાની પ્રેરણા આપી અને અંતર્ધ્યાન થઈ ગઈ .જતા જતા તે કહેતી ગઈ કે તે ગર્ભવતી છે અને એક વર્ષ પછી પોતાના સંતાનને દેખવા માટે આવે અને એક રાત્રી તેની સાથે વ્યતીત કરે અને પોતાના પુત્રને પોતાની સાથે લઇ જાય અને તેણી એ કહ્યું કે દેવતાઓનું વચન છે કે પુરુરવા મૃત્યુંજય થઈ જશે અને યજ્ઞ કરીને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિનો અધિકારી બની જશે.
            એક વર્ષ વીતી ગયા પછી પુરુરવા ઉર્વશી ને મળવા સ્વર્ગમાં ગયા તેમનો અલૌકિક પ્રેમ જોઈને દેવ અને ગંધર્વો તેમના પર મુગ્ધ થઇ ગયા. તેમણે તેમને પવિત્ર અગ્નિ આપી અને કહ્યું આનાથી યજ્ઞ કરવા પર તમે પવિત્ર થઈ જશો અને તમે સ્વર્ગમાં રહી શકશો. થાળીમાં આપેલા અગ્નિદેવ અને પોતાના પુત્રને લઈને પુરુરવા પૃથ્વી પર પાછા આવી ગયા. આવતા સમયે તે થાળી અને અગ્નિને જંગલમાં ક્યાંક ભૂલી ગયા. જ્યારે તે તેને પાછી મેળવવા જંગલમાં ગયા ત્યારે તે તેમને ક્યાંય ન મળી કારણકે થાળી શમી વૃક્ષમાં અને અગ્નિ પીપળના વૃક્ષ માં પરીવર્તીત થઈ ગઈ હતી.                      પુરુરવા તેને મેળવવા વ્યાકુળ થઈને ફરતા રહ્યા. તેમની વ્યાકુળતા દેખીને ગંધર્વો એ તેમને દર્શન દીધા,અને કહ્યું કે ખોવાયેલી વસ્તુ પાછી મેળવી શકાતી નથી. પરંતુ તેને યજ્ઞ કરી પાછી મેળવી શકાય છે. અને ગંધર્વો એ તેમને યજ્ઞની વિધિ સમજાવી પુરુરવા એ પીપળના અને સમીના વૃક્ષ ના લાકડા ના મંથનથી યજ્ઞની અગ્નિ પ્રાપ્ત કરી. અને યજ્ઞ કરીને તે ગંધર્વ બન્યા, ગંધર્વો પ્રસન્ન થયા કારણકે પુરુરવાના પુરુષાર્થથી અગ્નિ ત્રણ પુણ્ય અંશોમાં સ્થાપિત થઈ આહવાનીય અગ્નિ, ગારહ્યપત્ય અગ્નિ અને દક્ષિણ અગ્નિ                        ક્ષત્રિય કુળના હોવા છતાં પણ, પુરુરવા એ બ્રાહ્મણત્વ ને ગૌરવવંતુ બનાવ્યું હતું તેથી ગંધર્વો ના વરદાનથી તે સૂર્ય ના સમકક્ષ પ્રતિષ્ઠિત થયા ઉર્વશી થી તેમને પવિત્ર ઉષા અને વાંછિત પુત્ર આયુ કુમારના રૂપમાં પ્રાપ્ત થયા અને દશે દિશાઓમાં દેવ અને ગંધર્વ લોકોમાં તેમની પ્રેમ કથા અજર અમર બની ગઈ
              મહા યશસ્વી પુરુરવા મનુષ્ય થઈને પણ માનવેતર પ્રાણીઓથી ઘેરાયેલા રહેતા હતા. પોતાના બળ અને પરાક્રમ થી ઉન્મત્ત થઈને બ્રાહ્મણોની સાથે વાદ-વિવાદ કરવા લાગ્યા. બિચારા ગરીબ બ્રાહ્મણ વાદવિવાદ કરતા રહેતા તોપણ તે તેમનું બધુજ ધન અને રત્નો છીનવી લેતા હતા. જન્મેજય બ્રહ્મલોક થી સનત કુમારો એ આવીને તેમને બહુ સમજાવ્યા કે બ્રાહ્મણો પર અત્યાચાર ન કરો પરંતુ તેમણે તેમની વાત ન માની ત્યારે ક્રોધથી ભરેલા તેમણે તાત્કાલિક શાપ આપ્યો જેનાથી તે નષ્ટ થઈ ગયા રાજા પુરુરવા લોભી અને બાહુબલી ના ઘમંડથી પોતાની વિવેક શક્તિઓ ખોઈ બેઠા હતા. પરંતુ તે જ પુરુરવા ગંધર્વ લોકોમાં સ્થિત ત્રિવિધ અગ્નીઓ અને અપ્સરા ઉર્વશી ને પૃથ્વીલોકો પર તે લાવ્યા હતા.
ઇલા નંદન પુરુરવાના છ પુત્રો હતા જેના નામ આયુ ,ધીમાન, અમાવસુ, દ્રઢાયુ, બનાયુ અને શતાયુ હતા આ બધા જ ઉર્વશી થી પેદા થયેલા પુત્ર હતા એમાંથી આયુ ના સ્વભાનુકુમારી ના ગર્ભ થી પાંચ પુત્રો પેદા થયેલા બતાવવામાં આવે છે જેના નામ નહુષ વૃદ્ધશર્મા, રજિ, ગય અને અનેના હતા આયુરનંદાં નહુષ ખૂબ જ બુદ્ધિવાળા અને સત્ય પરાક્રમી હતા.

Saturday, February 2, 2019

મહાભારત પાત્ર પરિચય - અત્રી પુત્ર ચંદ્ર અને ચંદ્ર પુત્ર બુધ

           નમસ્કાર મિત્રો મહાભારત પાત્ર પરિચય શ્રેણીમાં આજનો લેખ અત્રી પુત્ર ચંદ્ર વિષે છે. બ્રહ્માના પુત્ર અત્રિ એ બ્રહ્માના પુત્ર કર્દમ ની પુત્રી અનસુયા સાથે લગ્ન કર્યા હતા. તેની માતાનું નામ દેવહુતિ હતું. અત્રિ-અનસુયા થી એક પુત્ર જન્મ્યો જેનું નામ દત્તાત્રેય હતું. અત્રિ દંપતિ ની તપસ્યા અને ત્રિદેવો ની પ્રસન્નતાના ફળ સ્વરૂપ વિષ્ણુના અંશથી મહાયોગી દત્તાત્રેય, બ્રહ્માના અંશથી ચંદ્રમા તથા ભગવાન શંકરના અંશથી મહામુનિ દુર્વાસા નો જન્મ થયો હતો. તે સિવાય તેમને બ્રહ્મવાદિની નામની એક કન્યા પણ હતી.

ચંદ્રમા

           ચંદ્રમા બ્રહ્માના અંશથી પેદા થયેલા પુત્ર હતા. ચંદ્રને પ્રજાપતિ બ્રહ્મા એ ઔષધિઓનો જાણકાર બનાવ્યો હતો. પોતાના રાજ્યની મહિમા વધારવા માટે એક વાર ચંદ્રએ રાજસૂય યજ્ઞ કર્યો. આ યજ્ઞ ખૂબ સફળ રહ્યો આ રાજસુય યજ્ઞ ની સફળતાથી ચંદ્ર  એટલો અભીમાની થઈ ગયો કે તેણે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ની સુંદર પત્ની તારાનું હરણ કરી લીધું દેવ ઋષિ બૃહસ્પતિ પોતાની પત્નીને પાછી મેળવવા માટે બહુ પ્રયત્નો કર્યા પરંતુ સફળ ન થયા ત્યારે આ કાર્યમાં મદદ માટે દેવરાજ ઇન્દ્ર પાસે ગયા દેવરાજ ઇન્દ્ર એ ચંદ્રમાને ખૂબ સમજાવ્યો પરંતુ તે કોઈ પણ રીતે માન્યો નહી. ત્યારે બ્રહ્મા વગેરે બીજા અન્ય દેવતાઓએ પણ ચંદ્રમાને સમજાવવાની ખૂબ કોશિશ કરી તેમ છતાં પણ તેમને કોઈની વાત માની નહીં અને બૃહસ્પતિ પત્ની તારા ને પાછી સોંપવાનો સાફ ઇનકાર કરી દીધો તેનાથી ક્રોધિત થઈને દેવરાજ ઈન્દ્રએ વિશાળ સેના સાથે ચંદ્રમા પર ચડાઈ કરી.
          જેવી રીતે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ હતા હતા તેવી જ રીતે દાનવોના ગુરુ શુક્રાચાર્ય હતા બંને એકબીજાથી અદેખાઈ રાખતા હતા એ જ કારણે જ્યારે દેવરાજ ઈન્દ્રે દેવગુરુ બૃહસ્પતિનો પક્ષ લઈને જ્યારે ચંદ્ર પર ચડાઈ કરી તો દૈત્યગુરૂ શુક્રાચાર્યે ચંદ્રમાની સહાયતા માટે સેના લઈને રણ મેદાનમાં આવી ગયા શુક્રાચાર્યની સેના ખૂબ જ બળવાન હતી જેમાં જમ્ભ અને કુંભજેવા ભયંકર દૈત્ય સામેલ હતા. આ રીતે તારાને મેળવવા માટે દેવ અને દૈત્ય વચ્ચે ભયંકર યુદ્ધ છેડાઈ ગયું જેને દેવાસુર સંગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. આ દેવાસુર સંગ્રામ એટલું ભયંકર હતું તે સંસારના બધા જ પ્રાણીઓ ક્ષુબ્ધ થઈ ગયા, અને બધા ભેગા થઈને બ્રહ્માજીની પાસે ગયા બ્રહ્માજીએ આ યુદ્ધમાં સંધિ કરાવીને યુદ્ધ ને શાંત કર્યું આ સંધિ વાર્તાને માનીને ચંદ્રએ તારાને દેવગુરુ બૃહસ્પતિને પાછી સોંપી દીધી
           જ્યારે તારા દેવગુરુ બૃહસ્પતિની પાસે પાછી આવી ત્યારે તે ગર્ભવતી હતી તેને ગર્ભાવસ્થામાં જોઈને બૃહસ્પતિના ક્રોધનો પાર ન રહ્યો અને ક્રોધિત થઈને તેઓ બોલ્યા મારા ઘરમાં રહેવું હોય તો મારે બીજાનું બાળક ન જોઈએ, તેને મારાથી દૂર કરો આમ કહેવા પર તારા એ દૂર ઝાડીઓમાં જઈને પેટ પર પ્રહાર કરી ગર્ભ ત્યાગી દીધો. જે ગર્ભ ને તારા એ ઝાડી ઓ માં ત્યાગી દીધો હતો તે સુંદર તેજધારી બાળક હતો. તે એટલો સ્વરૂપવાન હતો કે બધા જ દેવતાઓ નું તેજ તેની આગળ ફિકુ લાગતું હતું. સુંદર અને તેજ ધારી બાળક જોઈ ને ચંદ્રમાં અને બૃહસ્પતિ બંને મુગ્ધ થઈ ગયા હવે બંને તે બાળકને અપનાવવા માંગતા હતા એ વાતને લઈને તે બંનેમાં ખેંચાતાણી થઈ ગઈ અને વાત એટલી વધી ગઈ કે બંને ફરીથી દેવતાઓના શરણમાં જવું પડ્યું.
           બાળકને અપનાવવાની બંનેની ઉત્સ્તુક્તા દેખીને દેવતાઓને વહેમ પડ્યો અને વિસ્મય પામી ને તેઓ વિચારવા લાગ્યા કે આ બાળક કોનો પુત્ર છે? જ્યારે આ જાણકારી મેળવવા ના બધાજ ઉપાયો નાકામિયાબ રહ્યા ત્યારે તેમણે તારા ને બોલાવી ને પૂછ્યું કે હે દેવી તારા  સત્ય બોલી ને જણાવો કે તમારા ગર્ભથી ઉત્પન્ન થયેલો આ પુત્ર કોનો છે. આના પર સ્ત્રીસહજ લજ્જાને વશ થઈને તારા એ કંઈ પણ જવાબ ના આપ્યો અને ચૂપચાપ ઊભી રહી.                  દેવતાઓના વારંવાર પૂછવા પર પણ તેણે કંઈ જવાબ ન આપ્યો. આમ જોઈને તારાનો પુત્ર ક્રોધિત થઈ ગયો અને કહેવા લાગ્યો કે હે માતા જલ્દી બતાવો કે હું કોનો પુત્ર છું, નહિ તો હું તમને ભયંકર શાપ આપી દઈશ. શાપ થી થવા વાળા ભયંકર પરિણામોને ધ્યાનમાં રાખીને બ્રહ્માજીએ તે બાળકને તેમ કરવાની મનાઈ ફરમાવી, અને બ્રહ્માજી એ સ્વયં તારા ને પૂછ્યું કે હે દેવી બતાવો કે આ કોનો  પુત્ર છે. બ્રહ્માજીના પૂછવા પર તારાએ જણાવ્યું કે આ બાળક ચન્દ્રનો પુત્ર છે. તારા ના મોઢે થી આ સાંભળીને ચંદ્રની ખુશીનો કોઈ પાર ન રહ્યો પ્રસન્નતાથી ગદગદ થઇ જઈ હસતા હસતા બાળકને ગળે લગાડ્યો, પ્રેમથી તેના ગાલે ચૂમી લીધી અને લાડ ભર્યા શબ્દોમાં બોલ્યા હે વત્સ તું અતિ ઉત્તમ,અતિ સુંદર અને અતિ બુદ્ધિમાન છો એટલા માટે તમારું નામ હું બુધ રાખું છું. આ રીતે ચંદ્ર નો પુત્ર બુધ તરીકે વિખ્યાત થઈ ગયો. જેણે  ચંદ્રવંશની સ્થાપના કરી. આ વંશના રાજા પોતાને ચંદ્રવંશી તરીકે ઓળખાવે છે. જોકે ચંદ્ર અત્રિ ઋષિનાજ સંતાન હોવાને કારણે આત્રેય પણ ચંદ્રવંશી તરીકે ઓળખાયા. બ્રાહ્મણો માં એક ઉપનામ છે આત્રેય એટલે કે અત્રિના સંતાનો.
         બૃહસ્પતિ પત્ની તારાનું હરણ કરવાથી ચંદ્રમાં અને બૃહસ્પતિ વચ્ચે યુદ્ધ થયું અંતમાં ભગવાન બ્રહ્મા ના હસ્તક્ષેપને કારણે ચંદ્રમાએ તારા ને બૃહસ્પતિને પાછી સોંપી. ચંદ્રવંશના પ્રથમ રાજા નું નામ પણ સોમ હતું જેણે પ્રયાગ પર શાસન કર્યું હતું.
          અત્રી થી ચંદ્રમા , ચંદ્રમા થી બુધ, બુધ થી પુરુરવા, પુરૂર્વાથી આયુ, આયુ થી નહુષ, નહુષ થી યતિ, યયાતિ, સંયાતી, આયાતી, વિયાતિ અને કૃતિ નામના ૬ મહા બળશાળી અને વિક્રમી પુત્ર થયા. નહુષ નો મોટો પુત્ર યતી હતો જે સંન્યાસી થઈ ગયો, અને તેમનો બીજો પુત્ર યયાતિ રાજા થયો. અને તેનાથી જ ચંદ્રવર્ષ આગળ વધ્યો.
         યયાતિ ના પાંચ પુત્ર હતા જેમો દેવયાનીથી યદુ અને તુર્વસુ તથા શર્મિષ્ઠા થી દૃહનું, અનું અને પૂરું થયા. જેમાં યદુ થી યાદવ , તુર્વસુ થી યવન, દૃહનું થી ભોજ, અનુ થી મલેચ્છ અને પૂરું થી પૌરવ વંશ ની સ્થાપના થઇ.